વડિલોને ફાળવવામાં આવેલા દિવસો એટલે શ્રાદ્ધ . આ દિવસો એમના તરફની આપણી લાગણી દર્શાવે છે . કદાચ મોટી ઉંમરે આ મોટી યાત્રા પૂરી કરીને ગયેલા વ્યક્તિનું મૃત્યુ ઉજવવુ એટલે શ્રાદ્ધ પરંતુ એમના જીવનનું શું ? એમની હયાતી પણ ઉજવવી જોઈએ ને . જે ખીર-પૂરી એમની પાછળ કાગડા જમે છે એ એમને પણ આપી છે ખરી..? આવી જ થોડી લાગણી થોડી સમજની કવિતા છે આ…..
આવ આવ કાગડા , આજે મારા વડિલ નું શ્રાદ્ધ છે…
કે શું ખીર માં એમના સંસ્કાર જેટલો મીઠો સ્વાદ છે..?
આંખ તો સુકાઈ ગઈ , પણ લાગણી સુકાઈ નથી ને..?
દુઃખ એમને દેવાયું , એની માફી માંગવાની ભુલાઈ નથી ને..?
પરત ન કરી શકીએ , પણ એમના પ્રેમની કદર તો છે ને..??
એ હતા તો અમે છીએ , એટલી અમને ખબર તો છે ને..?
દિવસો કપરા હતા , સેવામાં ચૂક થઈ એની માફી મળશે કે કેમ..?
એ અમારી ભુલો ભુલી જાશે ને? , જેમ નાનપણમાં ભુલતા એમ..
એકલા હતા એ , ને કદાચ અમે સમય કાઢી ન શક્યા હોય..?
દવાઓ પુરી કરાવી હતી , કદાચ હુંફ પુરી આપી ન શક્યા હોય..?
ક્યાંક વાંક હતો અમારો , ને ક્યાંક જવાબદારી ની ભીંસ હતી..
કોઈ બચાવ નથી અમારો., સાવ સાચી એમની બધી રીસ હતી..
જા કાગડા જા , જઈને ઉપરવાળા ને અમારું માફીનામુ દે..
બધું દેવું ચુકવી દેશું , બસ ફરી અમને સરખું સરનામું દે…